62. ‘હું’ થી સંન્યાસ

 

શ્રીકૃષ્ણ અર્જુનને જવાબ આપે છે, ''જે રીતે મેં અગાઉ કહ્યું કે આ જગતમાં મોક્ષના બે માર્ગો છે - જ્ઞાનીઓ માટે જ્ઞાન માર્ગ અને યોગીઓ માટે કર્મનો માર્ગ'' (3.3). આ શ્લોક એમ સૂચવે છે કે જાગૃતિનો માર્ગ બુદ્ધિ કેન્દ્રી વ્યક્તિ માટે છે અને કર્મનો માર્ગ મન કેન્દ્રી વ્યક્તિ માટે છે.

શ્રીકૃષ્ણ આગળ સ્પષ્ટતા કરે છે કે, ''માત્ર કર્મને અવગણવાથી વ્યક્તિ નિષ્કર્મ પ્રાપ્ત કરી શકતી નથી અને માત્ર સંન્યસ્ત ગ્રહણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી'' (3.4).

   સંન્યાસ ને લગભગ દરેક સંસ્કૃતિમાં ખૂબ પ્રતિષ્ઠા અપાઈ છે કારણ કે ત્યાગ કરનારા કંઈક એવું કરી શકે છે કે જે સામાન્ય વ્યક્તિ કરી શકતી નથી. એટલે જ આપણામાંના ઘણા લોકોને અર્જુન ની વિચારધારા વધુ યોગ્ય લાગે છે જ્યારે તે સામ્રાજ્ય મેળવવાના વૈભવ અને યુદ્ધની પીડાથી સંન્યાસ લેવા માગે છે.

શ્રીકૃષ્ણ પણ સંન્યાસ ના પક્ષમાં જ છે પરંતુ તે આપણને દરેક કર્મમાંથી ‘હું’ પણાંના ભાવનો ત્યાગ કરવા કહે છે. શ્રીકૃષ્ણ માટે યુદ્ધ એ કોઈ મુદ્દો નથી, પણ અર્જુનનું 'હું' પણું એ છે. શ્રીકૃષ્ણને માટે, નિર્-મમ અને નિર્-અહંકાર એ શાશ્વત સ્થિતિનો માર્ગ છે (2.71).

આપણા રોજિંદા જીવનમાં સંન્યાસ એટલે પૈસા, ભોજન, માલમિલકત, સત્તા કે એવી કોઈપણ વસ્તુ કે જેની સમાજમાં કિંમત હોય તેનો ત્યાગ કરવો. એ જાણે એવું કહેવા જેવું છે કે 'હું ખૂબ પૈસા કમાયો' અને હવે 'હું પૈસાનું દાન કરું છું'. આમાં જ્યાં સુધી 'હું' રહે છે ત્યાં સુધી પૈસા કમાવા કે તેનું દાન કરવું સિક્કાની બે બાજુ છે.

આ ખ્યાલ સમજવો અઘરો છે કારણ કે સામાન્ય રીતે આપણે ભૌતિક માલમિલકત નો ત્યાગ કરવાની બાબત ને જ મહત્વ આપીએ છીએ. ચોક્કસપણે, આ યાત્રાનો બીજો તબક્કો હોઈ શકે કે જેમાં આ ત્યાગ કોઈ ઉચ્ચ લાભ જેમ કે પ્રતિષ્ઠા મેળવવા માટે કરવામાં આવ્યો હોય. એટલા માટે જ શ્રીકૃષ્ણ આપણને અહીં ઊભા રહેવાનું નથી કહેતા અને તેઓ ઇચ્છે છે કે આપણે અંતિમ સ્થિતિ સુધી પહોંચીએ કે જેમાં 'હું' પણાનો ત્યાગ કરાયો હોય.

જ્યારે ‘હું’ ને છોડી દેવામાં આવે છે ત્યારે સર્વ કાંઈ એક આનંદદાયી નાટક બની રહે છે નહિતર આ જીવન નામનું નાટક વ્યથા-કથા પણ બની શકે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા