50. રાગ, ભય અને ક્રોધ

 

શ્રીકૃષ્ણ કહે છે કે સ્થિતપ્રજ્ઞ એ એવી વ્યક્તિ છે કે જેને સુખોમાં કોઈ સ્પૃહા નથી અને દુઃખમાં જેનું મન વિહવળ થતું નથી તે રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલ હોય છે (2.56). આ બાબત શ્લોક 2.38 ની જ વાતનો વિસ્તાર કરે છે કે જેમાં શ્રીકૃષ્ણ કહે છે કે સુખ અને દુઃખ, લાભ અને હાનિ અને જય અને પરાજય સમાનતાથી લેવું.

આપણામાંની દરેક વ્યક્તિ જીવનમાં સુખ ઈચ્છતી હોવા છતાં પણ દુઃખ અનિવાર્યપણે આવી જ જાય છે કારણ કે આ બંને દ્વંદ્વની જોડીઓ છે. આ માછલી માટેના ચારા જેવું છે કે જેમાં ચારાની પાછળ માછલીને ફસાવવા માટેનો કંટક ૫ડેલો જ હોય છે.

સ્થિતપ્રજ્ઞ એ એવી વ્યક્તિ છે જે આ દ્વંદ્વને ઓળંગીને દ્વંદ્વાતીત બની ગઈ છે. આ સ્થિતિ એ એક પ્રકારની પૂર્ણ જાગૃતિ છે કે જેમાં વ્યક્તિ એક વસ્તુને મેળવવા જાય છે ત્યારે તેને બીજી વસ્તુ આપમેળે મળે છે જેમાં એવું બની શકે કે એ જુદા આકારમાં હોય કે થોડા સમય પછી મળે.

આ૫ણે જ્યારે આ૫ણાં આયોજનોને પરિણામે સુખ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણો અહંકાર પોરસાય છે તે એક પ્રકારે સુખની સ્પૃહા જ છે જ્યારે બીજી બાજુ કોઈ ઘટના દુઃખમાં પરિણામે છે ત્યારે આ૫ણો અહંકાર ઘવાય છે અને તે વિહવળતા અનુભવે છે. આ રીતે જોતાં નિશ્ચિત પણે આ અહંકારની જ રમત છે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આ બાબત જાણે છે અને તેથી અહંકારનો ત્યાગ કરે છે. 

ભાષાઓમાં દ્વંદ્વની પેલે પારની સ્થિતિને માટે ભાગ્યે જ કોઈક યોગ્ય શબ્દો જોવા મળે છે. અને જ્યારે શ્રીકૃષ્ણ આ વિશે એમ કહે છે કે તે રાગથી મુક્ત છે ત્યારે તેનો અર્થ એ નથી કે એ બીજી બાબતોનો દ્વેષ કરે છે. તેની આ સ્થિતિ આ બંનેની પરની છે.

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ભય અને ક્રોધથી મુક્ત છે એનો અર્થ એ નથી કે એ આ બંનેથી દબાયેલો છે.  સ્થિતપ્રજ્ઞ લોકો એવા લોકો છે જેઓના મનમાં ભય કે ક્રોધને પ્રવેશવા માટે અને રહેવા માટે તત્કાલીન કે લાંબા ગાળાનું કોઈ સ્થાન જ રહેતું નથી.

ભય અને ક્રોધ એ વાસ્તવમાં વર્તમાન પર ભૂતકાળ અને ભવિષ્યની પડેલી છાપ જ છે. હકીકતે વર્તમાનમાં તે બંને માટે કોઇ સ્થાન જ નથી. આથી જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે સ્થિતપ્રજ્ઞ લોકો ભય અને ક્રોધથી મુક્ત છે ત્યારે તેઓ એ જ સમજાવવા માગે છે કે તેઓ વર્તમાનમાં જ રહે છે.


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા