47. ભ્રમ થી બચો


 આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં જ્યારે આપણે સમાચાર, દર્શનશાસ્ત્ર, અન્ય લોકોના અનુભવો કે માન્યતાઓ બાબતે વિરોધાભાસી અભિપ્રાયો સાંભળીયે છીએ ત્યારે આપણે ખૂબ જ મુંઝવણ અનુભવીએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આપણી બુદ્ધિ વિવિધ વિચારો સાંભળવા છતાં નિશ્ચલ અને સમાધિ અવસ્થા માં સ્થિર થાય ત્યારે આપણે યોગની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ (2.53).

આને સમજવા માટેનું શ્રેષ્ઠ રૂપક એક વૃક્ષ હોઈ શકે જેનો ઉપરનો ભાગ દૃશ્યમાન છે જ્યારે નીચેનો મૂળવાળો ભાગ અદ્રશ્ય છે. આ ઉપરના ભાગ પર જુદી-જુદી તીવ્રતાના પવનોની અસર થાય છે જ્યારે નીચેના મૂળિયાં ના ભાગ ૫ર આની કોઈ જ અસર પડતી નથી. ઉપરનો ભાગ બહાર ના પરિબળોને લીધે સતત હલનચલન કરતો રહે છે જ્યારે નીચેનો ભાગ સમાધિમાં નિશ્ચલ રહીને પોતાની સ્થિરતા અને પોષણ આપવાની ફરજ બજાવતો જ રહે છે. એક વૃક્ષને માટે આ એક યોગ જ છે જેમાં તેનો બહારનો ભાગ સતત ચલિત થતો રહે છે ક્યારે અંદરનો ભાગ નિશ્ચલ રહે છે.

આપણી અજ્ઞાનતાની કક્ષાએ આપણી બુદ્ધિ બહારના ઉત્તેજનાને લીધે પોતાની રીતે જ સતત કંપિત રહે છે. આ કંપનો બહારની દુનિયામાં પણ ગુસ્સા અને ત્વરિત પ્રતિક્રિયા રૂપે દેખાઈ જાય છે. આને લીધે વ્યક્તિના પોતાના જીવનનો અને સાથે-સાથે પોતાના પરિવારનો તથા કાર્ય સ્થળ આ બધા જ ની દુર્દશા થાય છે. લોકો જીવનના વિવિધ અનુભવો મેળવીને એક એવી બનાવટી સ્થિતિને ધારણ કરી લે છે કે જેમાં તેઓ આ કંપનો ને દબાવી દે છે અને બહારની દુનિયામાં એક મહોરું પહેરીને પ્રસ્તુત થાય છે. આ સ્થિતિમાં પણ પેલા કંપનો/આંદોલનો અંદર તો હાજર જ હોય છે માત્ર કોઈ વ્યક્તિ બહાર એક હસતો અને બહાદુર ચહેરો રાખવાનું શીખી જાય છે પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી ટકી શકતી નથી.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સમાધિમાં નિશ્ચલની અંતિમ અવસ્થાની વાત કરે છે જ્યાં કંપનો/આંદોલનો ભીતર પણ હોતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ એ સ્થિતિની પ્રાપ્તિ છે જેમાં એ સમજાઈ જાય છે કે બહારના કંપનો/આંદોલનો અનિત્ય છે અને તેથી વ્યક્તિ પોતાના સમાધિમાં સ્થિત એવા અંતરાત્મા સાથે એકરૂપ થઈ જાય છે (2.14).

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા